
કોઇ વ્યકિતનું ડ્રાઇવીંગ લાયસન્સ એકસપાયર થઇ જાય તો શું થઇ ગયું ? તેને ડ્રાઇવીંગ આવડતુ જ હોય છે. આ નિરીક્ષણ છે નવસારી કન્ઝયુમર ડીસ્પુટસ રીડ્રેસલ કમિશન (સીડીઆરસી)નું ૨૦૨૧માં રોડ અકસ્માતમાં એક વ્યકિત ગુજરી જતા તેના પુત્રને ૧૧.૨૫ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો વીમા કંપની આદેશ આપતી વખતે તેણે આવું કહ્યું હતું. કેસની વિગતો અનુસાર, નવસારીના જલાલપોર તાલુકાના કૃષ્ણાપુર ગામના રહીશ દિવ્યેશ ટંડેલ (૪૪)એ સીડીઆરસી સમક્ષ એક ફરિયાદ કરી હતી કે ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીએ તેના પિતા લલ્લુભાઇ જે ૨ માર્ચ ૨૦૨૧ના દિવસે વીજલપોરમાં એરૂ રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા તેનો દાવો રીજેકટ કર્યો હતો. તેમનું સ્કુટર સ્લીપ થયું હતું અને ચાર અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર પછી તેમનું ૨૮ માર્ચે મૃત્યુ થયું હતું. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયા જણાવે છે.
લલ્લુભાઇએ રૂપિયા ૧૫ લાખનું પર્સનલ એકસીડન્ટ કવર લીધેલ હતું અને તે જૂન ૨૦૨૦થી એક વર્ષ માટે વૈધ હતું. દિવ્યેશે કલેઇમ રજૂ કર્યો હતો પણ કંપનીએ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ એ તે રીજેકટ કર્યો હતો. રીજેકશન લેટરમાં કંપનીએ જણાવ્યું હતું કે, લલ્લુભાઇનું લાયસન્સ ૧૮ ઓકટોબર ૨૦૦૧થી ૧૪ મે ૨૦૧૮ સુધી વેલીડ હતું. જો કોઇ જવાબદારી નથી રહેતી. કંપનીએ એવી પણ દલીલ કરી હતી કે અકસ્માત તેમના બેદરકારીભર્યા ડ્રાઇવીંગના કારણે થયો હતો.
કંપનીએ ગુજરાત રાજ્ય ગ્રાહક પંચનો ચુકાદો પણ ટાંકયો જેમાં તેણે જીલ્લા પંચના ચુકાદાને રદ્દ કર્યો હતો અને કંપનીએ દલીલ કરી કે આ કેસમાં પોલીસીની ત્રણ શરતોનો ભંગ થયો હતો. કંપનીની દલીલ હતી કે જો પોલીસી હોલ્ડર પાસે વેલીડ અને અમલમાં હોય તેવું લાયસન્સ હોય તો જ તે કલેઇમ મેળવવા પાત્ર બને.
ટંડેલના વકીલે કર્ણાટક હાઇકોર્ટના હુકમ સહિતના કેટલાક ચુકાદાઓ રજૂ કર્યા હતા. જેમાં કહેવાયું હતું કે, ઇન્સ્યોરન્સ કંપની લાયસન્સ ચેક કરીને જ પોલીસી ઇસ્યુ કરવી જોઇએ. ટંડેલના વકીલે કહ્યું કે, આ કેસમાં કંપની તેમ કરવામાં નિષ્ફળ રહી છે. અકસ્માત વખતે લલ્લુભાઇનું ડ્રાઇવીંગ બેદરકારીપૂર્ણ હતું તેવું સાબિત કરતા પુરાવાઓ કંપની નથી રજૂ કરી શકી. અન્ય એક ચુકાદામાં એવું કહેવાયું છે કે પોલીસી હોલ્ડર પાસે લાયસન્સ ના હોય તો તેના પરિવારને દાવાની ૭૫ ટકા રકમ ચૂકવવી.
સીડીઆરસીએ નોંધ્યું કે, પોલીસીની શરતો અનુસાર મૃતક પાસે વૈધ સરકારી લાયસન્સ હોવું જોઇએ. આ કેસમાં તેની પાસે લાયસન્સ તો હતું પણ તેણે મે ૨૦૧૮ પછી રીન્યુ નહોતું કરાવ્યું. આનો અર્થ એ કે તેને ડ્રાઇવીંગ તો આવડતું જ હતું. એવું ના કહી શકાય કે કેવી રીતે વાહન ચલાવવું તે નહોતા જાણતા અને તેની બેદરકારીના કારણે અકસ્માત થયો હતો. તેણે વધુમાં ધ્યાનમાં લીધું કે જ્યારે કોઇ પોલીસી હોલ્ડર પોલીસી ખરીદે છે ત્યારે કંપની દ્વારા લાયસન્સ ના માંગવામાં આવ્યું હોય તો સ્પેશ્યલ પ્રીમીયમ લેવામાં આવે છે એટલે દાવો રદ કરવો તે યોગ્ય નથી. સીડીઆરસીએ કહ્યું કે કંપનીએ ખોટા કારણો દર્શાવીને કલેઇમ ગેરકાયદેસર રીતે રીજેકટ કર્યો છે. કંપનીએ રૂપિયા ૧૧.૨૫ લાખનું વળતર ૯ ટકા વ્યાજ સાથે અને રૂપિયા ૫૦૦૦ માનસીક ત્રાસ માટે ચૂકવવાનો સીડીઆરસીએ હુકમ આપ્યો હતો.
Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Cyber Crime News In Gujarati - ગુજરાતી સમાચાર - ગ્રાહક સુરક્ષા કોર્ટ - વિમા પોલિસી નિયમ કોર્ટ આદેશ