
ગુજરાતમાં જ્યારે પણ હનુમાનદાદાની વાત કરવામાં આવે તો સાળંગપુરધામની પહેલા યાદ આવે. પરંતુ તાજેતરમાં સાળંગપુરધામમાં જ હવે હનુમાનદાદાને લઈને વિવાદ વકર્યો છે. સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદી સંચાલિત સાળંગપુર હનુમાન મંદિરમાં આવેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની વિશાળ પ્રતિમાની નીચે કંડારાયેલાં શિલ્પચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે.
સાળંગપુરમાં બનેલી ‘કિંગ ઑફ સાળંગપુર’ની 54 ફૂટ ઊંચી પ્રતિમા સ્થાપવામાં આવી છે. આ ઊંચી પ્રતિમાની નીચે બનેલા પ્લૅટફૉર્મની ફરતે હનુમાનનાં શિલ્પચિત્રો મૂકવામાં આવ્યાં છે. સાળંગપુરનું આ હનુમાન મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાયની વડતાલ શાખા કરે છે.મંદિરના વહીવટદારોનું કહેવું છે કે આ શિલ્પચિત્રો વિવિધ ધાર્મિક અને સાંપ્રદાયિક બાબતોને ઉજાગર કરે છે. હવે, આ શિલ્પચિત્રો પૈકી એકમાં સહજાનંદ સ્વામીના એટલે કે સ્વામીનારાયણના પગમાં હનુમાનજી હાથ જોડીને બેઠા હોય તે રીતે દર્શાવવામાં આવ્યા છે. આ મુદ્દે કેટલાક સાધુ-સંતો રોષે ભરાયા છે. તેમના મતે ‘આ પ્રકારનાં ચિત્રો સનાતન ધર્મનું અપમાન છે.’
મંદિરના માહોલ અંગે સચીન પીઠવાએ જણાવ્યું કે "સામાન્ય દિવસોમાં મંદિરમાં પગ મૂકવાની જગ્યા નથી હોતી. પણ આજે રોજની સરખામણીમાં માત્ર 20 ટકા જ લોકો મંદિર આવ્યા છે. મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય રીતે રોજ ખૂબ જ ટ્રાફિક હોય છે. પણ આજે આ વિસ્તારો ખાલી નજર આવતા હતા." તેમણે કહ્યું કે 'કિંગ ઑફ સાળંગપુર' પ્રતિમાના ભક્તો દૂરથી જ દર્શન કરી શકે છે, જે જગ્યાને લઈને વિવાદ થયો છે ત્યાં લોકોને જવા પણ નથી દેવામાં આવતા. મીડિયાના પ્રતિનિધિઓને પણ મંદિરમાં જવાથી રોકવામાં આવ્યા હતા. તેમણે ઉમેર્યું કે "તકેદારીના ભાગરૂપે મંદિર પરિસરમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પીએસઆઈ, પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 40થી વધુ કર્મચારીઓનો તહેનાત છે."
શિલ્પચિત્રો સામે વિરોધ દર્શાવવા માટે આજે ભગવા ગ્રૂપના સભ્યો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો અને કરણી સેનાના પ્રતિનિધિઓએ સાળંગપુર મંદિરના સંતો સાથે બેઠક કરી હતી. બેઠકમાં રજૂઆત કરવા આવેલા સંતો અને પ્રતિનિધિઓને સ્વામીનારાયણ સંપ્રદાયના ગ્રંથોનો હવાલો આપીને તે બાબત યોગ્ય હોવાની વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ બેઠકમાં માહોલ ઉગ્ર થઈ ગયો હતો. સાળંગપુરના સંતો જે વાત સમજાવતા હતા તે સનાતન ધર્મના સંતો માનવા તૈયાર ન હતા. આખરે તેઓ બેઠક છોડીને રૂમના દરવાજાથી બહાર નીકળી ગયા હતા અને સામે સનાતની ધર્મના સંતો, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પણ સૂત્રોચ્ચાર કરતા બેઠક કક્ષની બહાર નીકળી ગયા હતા.
શિલ્પચિત્રો સામે વિરોધ કરનારા સંતોને નૌતમ સ્વામીએ એક સભામાં જણાવ્યું હતું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને શ્રી હનુમાનજી મહારાજે પણ સ્વામીનારાયણ ભગવાનની સેવા કરી છે. આ વાતથી સ્વામીનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ ભરેલો પડ્યો છે. જો કોઈને વ્યક્તિગત એનાથી નાના મોટા પ્રશ્નો હોય તો યોગ્ય ફોરમ પર વાત કરી શકે છે. કેટલાક લોકો આના સંદર્ભમાં કોર્ટમાં ગયા છે. તો કોર્ટમાં તેનો યોગ્ય જવાબ આપવો પડશે. સામાન્ય નાના મોટા માણસોને જવાબ આપવાની સંપ્રદાયના કોઈ વ્યક્તિને કોઈ જરૂર નથી." નૌતમ સ્વામીએ પુરાણોનો હવાલો આપીને સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો જવાબ આપવા તૈયાર હોવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે "સ્વામીનારાયણ ભગવાન છે અને તે વેદ વ્યાસજીએ કહ્યા મુજબ સ્કંધ પુરાણ વગેરેમાં તેનો ઉલ્લેખ છે અને જેને જ્યારે જે જગ્યાએ જોઈએ ત્યારે સંપ્રદાયના વિદ્વાનો જવાબ આપવા તૈયાર છે. સત્સંગીઓએ અન્યોની વાતો સાંભળીને ડિમોરલાઇઝ ન થવું."
સાળંગપુરના સંતો સાથે યોજાયેલી બેઠક બાદ વિશ્વ હિન્દુ પરિષદના બોટાદ જિલ્લાના અધ્યક્ષ સતુભાઈ ઘાંઘલે જણાવ્યું કે શિલ્પચિત્ર હટાવવાની અમે રજૂઆત કરી છે. સાળંગપુર મંદિરના સંતોએ આ રજૂઆત વડલાત સુધી પહોંચાડી દીધી છે. પણ તેમના તરફથી હજી પણ કોઈ સ્પષ્ટ જવાબ નથી મળ્યો. તેમણે ઉમેર્યું કે "અમે સાળંગપુરના કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીને મળવા આવ્યા હતા. આગામી બે દિવસ પહેલાં પણ અમે આવ્યા હતા. હિન્દુ અને સનાતન ધર્મની લાગણી દુભાઈ હોવાથી અમે આ ચિત્રોને હટાવવાની રજૂઆત કરી હતી. ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, વડતાલ બોર્ડ આ અંગેનો નિર્ણય લેશે. પણ આજે નૌતમ સ્વામીનું નિવેદન આવતા અમને થયું કે કોઠારી સ્વામીનો સંપર્ક સાધીએ. નૌતમ સ્વામીનો આ નિર્ણય ખોટો છે, આનાથી સનાતન ધર્મ અને હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચી છે."તેમણે નૌતમ સ્વામીએ સંત સમિતિમાંથી રાજીનામું આપવું જોઈએ તેવી માગ કરી છે. તેમણે ઉમેર્યું કે "સંત સમિતિ બનાવી છે તેમાં સનાતનીઓ છે. હું અત્યારે સનાતન ધર્મના જે ગુરુઓ છે તેમને વિનંતી કરું છું કે આ સંત સમિતિમાંથી તેમને તાત્કાલિક રાજીનામું અપાવો."
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - Salangpur News In Gujarati