
કાશ્મીરમાં ઈન્ડિયન આર્મીમાં ડ્યુટી કરનાર અને અમદાવાદમાં રહેતા મૂળ સુરેન્દ્રનગરના મહિપાલસિંહ વાળા સાથે મૂળીનાં નુરીકર ગામનાં વર્ષાબાનાં લગ્ન બે વર્ષ પૂર્વે થયા હતા. સુખી દામ્પત્ય જીવનનાં બે વર્ષ બાદ વર્ષાબા ગર્ભવતી થયાં. પરંતુ સંતાનને આવકારવા માટે જોવાતી રાહ અને તેનો હરખ અણધાર્યા આઘાત અને શોકમાં ફેરવાઈ ગયો જ્યારે પરિવારને મહિપાલસિંહના અવસાનના સમાચાર મળ્યા. ત્યારે તેની ધર્મપત્ની સહિત ઘરના સભ્યો અને આખુંય શહેર હિબકે ચડ્યું હતું. રાષ્ટ્રીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપી નશ્વરદેહને પંચમહાભૂતમાં વિલિન કરવામાં આવ્યો હતો. આ બાદ મીડિયા અંગત સોર્સ સાથે શહિદ થયેલા મહિપાલસિંહ વાળાના પત્નીએ ખુબ જ પ્રયત્નો બાદ વાત કરી હતી.
વર્ષાબાએ કહ્યું કે, ‘મારા પતિ વર્ષમાં ત્રણવાર રજા મળે ત્યારે આવતા હતા. એ રજામાં અહીં આવે એટલે હું સ્વર્ગમાં વિહરતી હોઉં એવાં દિવસો લાગતા. અમે બંને સાથે ફરવા જતાં અને એ લશ્કરની વાતો કરતા.’ એમને જયારે જાણ થઈ કે હું બાળકને જન્મ આપવાની છું ત્યારે તેમના આનંદનો પાર નહોતો. એ રોજ મને સમય મળે ત્યારે વીડિયો કૉલ પણ કરતા. તેઓ બાળક અને મારા સ્વાસ્થ્યની ચિંતા કરતા અને સતત ડૉક્ટરનાં સંપર્કમાં પણ રહેતા હતા. જયારે એમનું પૉસ્ટિંગ ઇન્ટરનેટ ન હોય એવી જગ્યાએ થયું હોય ત્યારે જ એમનો વીડિયો કૉલ આવતો ન હતો. એ કુલગામ ગયા ત્યારે એમનો વીડિયો કૉલ આવ્યો હતો કે એ કોઈ મોટા ઑપરેશનમાં જઈ રહ્યા છે પણ લશ્કરનાં નિયમ મુજબ એમણે મને કહ્યું નહોતું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે.’
આ પણ વાંચો : અંબાલાલ પટેલની વરસાદની આગાહી : ચોથા રાઉન્ડમાં વરસાદ બોલાવશે બઘડાટી, ભારે પવન સાથે પડશે ધોધમાર વરસાદ...
વર્ષાબાએ વધુમાં આગળ જણાવ્યું કે, 'ડૉક્ટરે એવું કહ્યું હતું કે, આવનારા બે-પાંચ દિવસમાં બાળકનો જન્મ થશે. મને પણ પ્રસવ પીડાની શરૂઆત હતી એટલે હું દવાખાનામાં દાખલ થવાની હતી. ત્યારે મેં એમને કહ્યું પણ હતું કે ઈશ્વરની કૃપાથી ફતેહ કરીને આવજો. તેમનો સામે જવાબ આવ્યો કે ફતેહ તો હું કરીશ, પરંતુ આપણે દીકરો હોય કે દીકરી તેને ભારતીય સેનામાં જ દાખલ કરવાના છે. આટલી વાત કરતાં વર્ષાબાનાં ગળામાં ડૂમો ભરાઈ ગયો. નાદુરસ્ત તબિયત હોવા છતાં તેમણે ફરીથી હૉસ્પિટલ જવાનો ઇન્કાર કર્યો. વર્ષાબા પતિની યાદ અને ફોટા જોઈ લાગણીસભર થઈ જાય છે. પરંતુ તરત જ તેમણે અવાજમાં એક અજબ રણકાર સાથે કહ્યું, 'મારા બાળકને પણ હું લશ્કરમાં જ મોકલીશ.’
લશ્કરમાં જોડાયેલા જવાનની પત્ની હોવું સાચે જ આસાન નથી હોતું. તેમના વિરહમાં કેટલાય દિવસો સુધી રહેવું અને કોઈપણ ક્ષણે ન માની શકાય તેવા સમાચાર આવી જાય અને તમામ સપના રોળાય જાય. પરંતુ એક આર્મીમેનના ઘરમાં જે નિડરતા અને શુરવિરતાની પરંપરા જે ઘડાય છે તે ક્યારેય અન્ય પરિવારમાં ઘડી શકાતી નથી. આ દાખલો તેનો સાક્ષારકાર જરૂર કરે છે.
(Home Page- gujju news channel)
Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાત સમાચાર