
Indore Couple Missing : રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મે 2025 ના રોજ થયા હતા. 9 દિવસ પછી 20મેના રોજ આ દંપતી તેમના હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયું અને પછી શું-શું થયું ?
Indore Couple Missing : ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસનું રહસ્ય હવે ધીમે ધીમે ઉકેલાઈ રહ્યું છે. મેઘાલય પોલીસે સમગ્ર કેસનો ખુલાસો કરતા કહ્યું કે, રાજા રઘુવંશીની હત્યા તેની પત્ની સોનમ દ્વારા કરવામાં આવી હતી. હત્યા બાદ સોનમ મેઘાલયથી ગાઝીપુર ભાગી ગઈ હતી અને દબાણમાં આત્મસમર્પણ કર્યું હતું. મેઘાલય DGPએ જણાવ્યું હતું કે, આ કેસમાં સોનમ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
રાજા રઘુવંશી અને સોનમના લગ્ન 11 મે 2025 ના રોજ થયા હતા. 9 દિવસ પછી 20મેના રોજ આ દંપતી તેમના હનીમૂન માટે મેઘાલય જવા રવાના થયું. સોનમ તેમના હનીમૂન માટે શિલોંગ જવાની યોજના બનાવી રહી હતી. તેણે હોટલથી લઈને ટિકિટ સુધી બધું જ બુક કરાવી લીધું હતું. પોલીસના મતે, આ હત્યાના આયોજનનું આ પહેલું પગલું હતું. 23 મેના રોજ, બંને શિલોંગના નોંગરિયાટ ગામમાં ડબલ ડેકર લિવિંગ રૂટ બ્રિજની મુલાકાત લેવા ગયા હતા. આ દિવસે બંને અચાનક ગુમ થઈ ગયા. આ પછી આ મામલો હેડલાઇન્સમાં આવ્યો. બીજા દિવસે 24 મેના રોજ તેમણે ભાડે રાખેલી સ્કૂટી સોહરા નજીક એક નિર્જન જગ્યાએ ત્યજી દેવાયેલી મળી આવી, ત્યારબાદ પોલીસે ગુમ થયેલા દંપતીનો કેસ નોંધ્યો.
રાજા અને સોનમનો પરિવાર શિલોંગ પહોંચ્યો. સ્થાનિક પોલીસે બંનેને શોધવા માટે શોધખોળ શરૂ કરી. 2 જૂન 2025ના રોજ પોલીસને રાજાનો મૃતદેહ વેઇસાવડોંગ ધોધ પાસે એક ઊંડી ખાડીમાં મળ્યો. પોસ્ટમોર્ટમમાં હત્યાની પુષ્ટિ થઈ. ઉપરથી ધક્કો મારવાથી માથામાં ઊંડી ઈજાને કારણે તેનું મૃત્યુ થયું. રાજાનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ સોનમ હજુ પણ ગુમ હતી. પોલીસને હવે સોનમ પર હત્યાનો શંકા હતી, ત્યારબાદ પોલીસે તેનું લોકેશન શોધવાનું શરૂ કર્યું. મેઘાલય પોલીસે દાવો કર્યો હતો કે, વધતા દબાણને કારણે 8-9 જૂનની રાત્રે સોનમે ગાઝીપુરમાં આત્મસમર્પણ કર્યું હતું.
પોલીસે દાવો કર્યો છે કે, સોનમના રાજા રઘુવંશી સાથે લગ્ન થયા હતા ત્યારે તેનું રાજ કુશવાહ નામના પુરુષ સાથે અફેર હતું. તેમણે કહ્યું કે તેણીએ તેના પ્રેમી રાજ કુશવાહ સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું. પ્રારંભિક તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે સોનમ ઘણીવાર રાજ કુશવાહ સાથે વાત કરતી હતી. અધિકારીઓને સીસીટીવી ફૂટેજ પણ મળ્યા છે, જેમાં મધ્યપ્રદેશના ત્રણથી ચાર લોકોની હત્યારા તરીકે ઓળખ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા મુજબ રાજ શિલોંગ આવ્યો ન હતો અને તે ફોન પર સંપર્કમાં હતો. પોલીસે જણાવ્યું હતું કે, ત્રણેય હત્યારા આકાશ, વિશાલ અને આનંદ શિલોંગમાં હાજર હતા. સોનમ જાણી જોઈને રાજાને એક નિર્જન વિસ્તારમાં લઈ ગઈ ત્યારબાદ ત્રણેયે રાજાની હત્યા કરી. હત્યા પછી, આકાશ, વિશાલ અને આનંદ શિલોંગથી ગુવાહાટી ગયા અને અહીં ત્રણેય અલગ થઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર સોનમ માત્ર રાજ કુશવાહાના સતત સંપર્કમાં જ નહોતી પરંતુ તેનું લોકેશન પણ મોકલી રહી હતી જે આનંદ આકાશ અને વિશાલ સુધી પહોંચી રહ્યું હતું. આ સમગ્ર ગુનાહિત કાર્યવાહી દરમિયાન રાજ ઇન્દોરના સોનમ, આનંદ આકાશ અને વિશાલના સંપર્કમાં હતો. 8 મી તારીખે સવારે મેઘાલય પોલીસે ઇન્દોર પોલીસને જાણ કરી કે રાજા રઘુવંશી હત્યા કેસના ત્રણ શંકાસ્પદો ઇન્દોરમાં હાજર છે.
અનેક સ્થળોએથી ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજ પછી પોલીસ પહેલા લલિતપુર પહોંચી અને ત્યાંથી આકાશ રાજપૂતની ધરપકડ કરી. ત્યારબાદ વિશાલ અને રાજ કુશવાહાની ઇન્દોરથી ધરપકડ કરવામાં આવી. પાંચમા આરોપી આનંદની સાગરથી ધરપકડ કરવામાં આવી છે.